ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભુજથી અમદાવાદ વચ્ચે દોડતી નમો ભારત ટ્રેનનો સ્ટોપ આદિપુરમાં મંજૂર કરવામાં આવે તેવી માંગણીને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શ્રી વાલજીભાઇ દાનીછાએ રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ લેખિત રજુઆત કરી છે. આ રજુઆતમાં તેમણે આદિપુર અને આસપાસના વિસ્તારોના જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા સાથે રજૂ કર્યા છે.
શ્રી વાલજીભાઇ દાનીછાએ જણાવ્યુ હતું કે આદિપુર રેલવે સ્ટેશન આસપાસના 2 થી 4 લાખ વસ્તી ધરાવતા ગામો માટે મહત્વનું કેન્દ્ર છે. અહીં અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજો આવેલી છે, જેને કારણે ગુજરાત અને દેશભરમાંથી વિદ્યાર્થીઓ આવે છે. આદિપુરને ઔદ્યોગિક વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં હજારો શ્રમિકો અને કર્મચારીઓ વસવાટ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આદિપુર રેલવે જંક્શન હોવા છતાં પણ અહીં નમો ભારત ટ્રેન રોકાતી નથી, જેના કારણે પ્રવાસીઓને ભારે તકલીફ પડી રહી છે. સ્થાનિક અગ્રેસરો, સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો દ્વારા અગાઉથી અનેક વખત રેલવે વિભાગ સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી હોવા છતાં આદિપુરને સ્ટોપ આપવામાં આવ્યો નથી.
આદિપુરને કાયમી ધોરણે નમો ભારત ટ્રેનનો સ્ટોપ મળે તેવી માંગણી તેમણે ફરી એકવાર રેલ મંત્રાલય સમક્ષ ઘેર રીતે મૂકી છે. તેમણે આ માંગણીને જનહિતમાં તાત્કાલિક સ્વીકારી યોગ્ય કાર્યવાહી કરવા અપીલ પણ કરી છે.
આ રજુઆતની નકલ સંસદસભ્ય શ્રી વિનોદભાઇ ચાવડા, રેલવે વિભાગના સચિવ, રેલવે બોર્ડના અધ્યક્ષ, મુંબઈના જનરલ મેનેજર, રેલ ફરિયાદ વિભાગના ડિરેક્ટર લોકેશકુમાર (અમદાવાદ), A.D.R.M. (અમદાવાદ) અને ગાંધીધામના મદદનીશ રેલવે મેનેજરને પણ મોકલવામાં આવી છે.