ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ 1 મેથી તમારે ATMમાંથી પૈસા ઉપાડવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ એક નોટિફિકેશન જાહેર કરીને ઇન્ટરચેન્જ ફીમાં વધારો જાહેર કર્યો છે. આનો અર્થ એ થયો કે જે ગ્રાહકો નાણાકીય વ્યવહારો માટે ATM પર આધાર રાખે છે તેઓ જો તેમની ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ બાદ ATMમાંથી પૈસા ઉપાડશે તો તેમને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, 1 મેથી ગ્રાહકોએ ફ્રી લિમિટ પૂરી થયા પછી ATMમાંથી દરેક નાણાકીય વ્યવહાર માટે વધારાના 2 રૂપિયા ચૂકવવા પડશે. આ ફી વધારાને કારણે હવે ATMમાંથી રોકડ ઉપાડવા માટે દરેક વ્યવહાર પર 19 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે, જે પહેલાં 17 રૂપિયા હતો તેમજ બેલેન્સ પૂછપરછ જેવા બિન-નાણાકીય વ્યવહારો માટેની ફીમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે ખાતામાં બેલેન્સ ચેક કરવા માટે, હવે દરેક વ્યવહાર પર 7 રૂપિયા વસૂલવામાં આવશે, જે પહેલાં 6 રૂપિયા હતો.
*ATM ઇન્ટરચેન્જ ફી શું છે?*
એટીએમ ઇન્ટરચેન્જ ફી એ એક બેંક દ્વારા બીજી બેંકને એટીએમ સેવાઓ પૂરી પાડવા માટે ચૂકવવામાં આવતો ચાર્જ છે. આ ફી સામાન્ય રીતે દરેક વ્યવહાર પર વસૂલવામાં આવતી એક નિશ્ચિત રકમ હોય છે, જે ઘણીવાર ગ્રાહકોના બેંકિંગ ખર્ચના ભાગ રૂપે ઉમેરવામાં આવે છે.
*ATM ઓપરેટરોની વિનંતી બાદ RBIએ આ નિર્ણય લીધો*
વ્હાઇટ-લેબલ એટીએમ ઓપરેટરોની વિનંતીઓને પગલે આરબીઆઈએ આ ચાર્જમાં સુધારો કરવાનો નિર્ણય લીધો. એટીએમ ઓપરેટરોએ દલીલ કરી હતી કે વધતા ઓપરેશનલ ખર્ચ તેમના બિઝનેસ પર અસર કરી રહ્યા છે. ATM ચાર્જમાં વધારો સમગ્ર દેશમાં લાગુ થશે. નાની બેંકોના ગ્રાહકો આનાથી અસર થઈ શકે છે. આ બેંકો ATM ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત સેવાઓ માટે મોટી નાણાકીય સંસ્થાઓ પર આધાર રાખે છે. આ જ કારણ છે કે આવી બેંકો પર વધતા ખર્ચની અસર વધુ હોય છે.
*ડિજિટલ પેમેન્ટને કારણે ATM સેવાને અસર થઈ*
ડિજિટલ પેમેન્ટને કારણે ભારતમાં ATM સેવાઓને અસર થઈ છે. ઓનલાઈન વોલેટ અને UPI ટ્રાન્જેક્શનની સુવિધાએ રોકડ ઉપાડની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. સરકારી આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2014માં ભારતમાં 952 લાખ કરોડ રૂપિયાના ડિજિટલ પેમેન્ટ થયા હતા. નાણાકીય વર્ષ 23 સુધીમાં, આ આંકડો વધીને રૂ. 3,658 લાખ કરોડ થઈ ગયો હતો. આ ડેટા કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.