ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં એક ખાનગી ટેલિફોન કંપનીની બેદરકારીને કારણે પાણીની મુખ્ય લાઇન તૂટી જતાં લાખો લિટર પીવાનું પાણી રસ્તાઓ પર વેડફાઈ ગયું હતું. કંપની દ્વારા કેબલ નાખવા માટે જમીનમાં બોરિંગ કરતી વખતે આ ઘટના બની હતી. તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને કંપની પાસે લાઇનનું સમારકામ કરાવ્યું છે અને હવે તેમને નોટિસ ફટકારીને શિક્ષાત્મક પગલાં ભરવાની તૈયારી કરી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે નાઈન એજી સહિતના વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો ચાલુ હતો ત્યારે ખાનગી ટેલિફોન કંપનીએ જમીનમાં બોરિંગ કરતાં રામબાગ ટાંકાથી ભારતનગર આવતી મુખ્ય પાણીની લાઇન તોડી નાખી હતી. આ ઘટનાને કારણે ભારતનગરમાં રીતસર ચોમાસાં જેવો માહોલ સર્જાયો હતો અને લાખો લિટર પાણીનો બેફામ વેડફાટ થયો હતો. તત્કાલીન સમયે પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
મહાનગરપાલિકાના પાણી વિભાગ દ્વારા તાત્કાલિક ખાનગી ટેલિફોન કંપનીને લાઇનનું સમારકામ કરવા સૂચના આપવામાં આવી હતી. પાણી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે કંપની દ્વારા લાઇનનું સમારકામ કરવામાં આવ્યું હતું. સમારકામ દરમિયાન જેસીબી સહિતની મશીનરી મહાનગરપાલિકાની જોવા મળી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાનગી ટેલિફોન કંપનીઓ દ્વારા કેબલ નાખવા માટે આડેધડ જમીનમાં બોરિંગ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સરકારી મિલકતોને નુકસાન પહોંચે છે અને પાણી જેવી આવશ્યક સેવાઓની લાઇનો તૂટી જવાથી ગંભીર અસર પડે છે. આ મામલે વહીવટી તંત્ર દ્વારા હવે ખાનગી ટેલિફોન કંપનીને નોટિસ આપવામાં આવશે અને તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરાય તેવી પણ સંભાવના છે. આ ઘટના ખાનગી કંપનીઓની બેદરકારી અને સરકારી માળખાકીય સુવિધાઓને થતા નુકસાન અંગે ગંભીર સવાલો ઉભા કરે છે.