ગાંધીધામ ટુડે, ન્યૂઝ : શહેરભરની લીઝના મુદ્દે પોર્ટ, SRC (સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન) અને કોર્ટ સમક્ષ ચાલી રહેલી મડાગાંઠ વધુ એક તારીખ સાથે લંબાઈ છે. ગાંધીધામ કોર્ટમાં લીઝ રદ થવા સંબંધિત કેસમાં SRC દ્વારા હજુ સુધી કોઈ જવાબ દાખલ ન કરાતા, કોર્ટે આગામી 4 જુલાઈની તારીખે વધુ સુનાવણી નિર્ધારિત કરી છે અને SRCને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
ગાંધીધામમાં SRC હસ્તકની રહેણાંક હેતુ માટે ફાળવેલી જમીનો પર કરાયેલા વ્યાપારી બાંધકામોનો મુદ્દો ગરમાયો છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) દ્વારા આવા બાંધકામો પર “હોલ્ડ” મુકવામાં આવ્યો હતો અને નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી. DPA એ GDA (ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી)ના નિયમો અનુસાર નિર્માણ ન થયેલા બાંધકામો સામે કાર્યવાહી કરવા અને તે અંગે સૂચના આપવા માટે SRCને પત્ર લખ્યો હતો. આ પત્ર બાદ SRC તરફથી મિશ્ર પ્રતિસાદો મળ્યા છે. SRCના સૂત્રોએ જણાવ્યું કે તેઓ આ અંગે GDAને પત્ર લખશે, પરંતુ આ મામલે જેમની લીઝ રદ થઈ ચૂકી છે, તેમણે કાનૂની માર્ગ અપનાવ્યો છે.
SRC હસ્તકની આશરે 2600 એકર જમીન પરના જે બાંધકામો પ્લોટના મૂળભૂત હેતુથી વિપરીત કરવામાં આવ્યા છે, તેના પર સતત કાર્યવાહીની તલવાર લટકી રહી છે. અગાઉ 61 લોકોની લીઝ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, અને આ લોકોએ ન્યાયાલયનો આશરો લીધો છે. કોર્ટે અગાઉ શનિવારે તારીખ આપ્યા બાદ, હવે વધુ એક વાર પોતાનો નિર્ણય મુલતવી રાખીને 4 જુલાઈની તારીખ આપી છે.
જાણવા મળ્યા મુજબ, SRC દ્વારા આ અંગે ન્યાયાલયમાં કોઈ પ્રત્યુત્તર દાખલ ન કરાયો હોવાથી આવું બન્યું છે. ઉલ્લેખનીય છે કે DPA, કંડલા દ્વારા જ્યાં સુધી સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠક ન થઈ જાય, ત્યાં સુધી SRCને આગળની કાર્યવાહી કરવા પર “હોલ્ડ” અપાયો હતો. જોકે, DPAના સૂત્રોએ જણાવ્યું કે તેમણે કાયદાકીય દ્રષ્ટિકોણથી અન્ય પત્ર લખીને GDAના નિયમાનુસાર જે કોઈ બાંધકામ ન થયા હોય તેની માહિતી માંગીને કાર્યવાહીને લીલીઝંડી આપી દીધી છે. પરંતુ, SRCના સૂત્રોએ આવું થયાનો ઇનકાર કરતા શહેરમાં મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા.
જેમની લીઝ રદ થયેલી છે, તેઓ આ કામગીરી પર સ્ટે લાવવા માટે કાનૂની લડાઈ લડી રહ્યા છે. તમામની નજર આ કેસની કાર્યવાહી પર ટકેલી છે, જેને વધુ એક વાર આગામી 4 જુલાઈની તારીખ આપવામાં આવી છે. દરમિયાન, સૂત્રોએ જણાવ્યું કે SRC દ્વારા આ અંગે કોઈ જવાબ દાખલ કરાયો નથી, જેથી તેમને તેનો જવાબ દાખલ કરવા પણ જણાવાયું છે.
જો SRCને ખરેખર કાર્યવાહીમાં હજુ સ્ટે મળ્યો હોય, તો તેઓ આ અંગે કોર્ટમાં જવાબ કેમ દાખલ નથી કરી રહ્યા તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. આ દરમિયાન, SRCની સમિતિએ સંકુલના ત્રણ મહત્વપૂર્ણ રસ્તાઓ – ટાગોર રોડ, રામબાગ રોડ અને એરપોર્ટ રોડને રહેણાંકમાંથી વ્યાપારી હેતુ માટે રૂપાંતરિત કરવાનો ઠરાવ પણ કર્યો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આ માટે તેમની પાસે સત્તા ન હોવાથી આ મામલો અંતે પોર્ટ અને શિપિંગ મંત્રાલય પાસે જ જશે, જેથી આ તમામ સમસ્યાનો ઉકેલ દિલ્હીથી જ નીકળશે તે વાત વધુ પ્રબળ બની રહી છે. ત્યારે, જનપ્રતિનિધિઓની આ બાબતે નિષ્ક્રિયતા અને સતત અપાતી સાંત્વના કેટલી કારગર નીવડશે તે ભવિષ્ય જ જણાવશે.