ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકા (GMC) દ્વારા શહેરના બે મુખ્ય માર્ગો – ઘોડાચોકીથી ઓમ મંદિર અને હીરાલાલ પારેખ સર્કલથી અપનાનગર -નું રૂ. 19 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત, રૂ. 25 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યો માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જાન્યુઆરીમાં ગાંધીધામને મહાનગરપાલિકા જાહેર કરાયા બાદ, શહેરના વિકાસ માટેના આયોજનોને વેગ મળ્યો છે. અગાઉ ઘોડાચોકીથી ઓમ મંદિર સુધી અને સુંદરપુરી પાણીના ટાંકાથી મહેશ્વરીનગર ચાર રસ્તા સુધીના દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેથી આ માર્ગોને “આઇકોનિક માર્ગ” તરીકે વિકસાવી શકાય. જોકે, ભંડોળના અભાવે તે સમયે આયોજન શક્ય બન્યું ન હતું. હવે, સરકાર દ્વારા રૂ. 25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતા આ માર્ગોના નવીનીકરણનું આયોજન ઘડવામાં આવ્યું છે.
આઇકોનિક માર્ગો બનાવવા માટે બે અલગ-અલગ એજન્સીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ રોડ ડેવલોપમેન્ટ અને આકર્ષક ડિઝાઈન માટેનું આયોજન કરશે. અધિકારીઓ સમક્ષ એજન્સીઓએ પોતાના આયોજનો રજૂ કર્યા છે.
અન્ય વિકાસ કાર્યો:
- ભારતનગર 36 ક્વાર્ટરથી ધણીમાતંગ સર્કલથી સુંદરપુરી પાણીના ટાંકા સુધી: લગભગ રૂ. 2.30 લાખના ખર્ચે કવર્ડ પેક વરસાદી નાળાંનું નવીનીકરણ કરવામાં આવશે.
- ભારતનગર તુલસી ટાવરથી વોર્ડ ઓફિસ થઈને સુંદરપુરી પાણીના ટાંકા સુધી અને નેહરુ પાર્કથી અપનાનગર પાણીના પ્યાઉ સુધી: રૂ. 2.19 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેઇન (વરસાદી નાળું) બનાવવામાં આવશે. જૂના નાળાં બંધ થઈ ગયા હોવાથી આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. અગાઉ થયેલા કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોવાથી આ વખતે ગુણવત્તાસભર કામગીરીની લોકો આશા રાખી રહ્યા છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગટર સમસ્યા: કંડલા ઝોનથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધી રૂ. 20 લાખના ખર્ચે ગટર લાઇન નાખવામાં આવશે.
આ તમામ કામો માટે અલગ-અલગ એજન્સીઓની નિમણૂક થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ વિકાસ કાર્યોથી ગાંધીધામ શહેરના માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે તેવી અપેક્ષા છે.