ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ગાંધીધામ મહાનગરપાલિકા (મનપા) દ્વારા વેરા વસૂલાતને મુખ્ય સ્ત્રોત ગણીને વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. તાજેતરમાં, માત્ર 18 દિવસના ટૂંકા ગાળામાં 10,000થી વધુના બાકી વેરા ધરાવતા 2476 મોટા બાકીદારોને નોટિસ ફટકારવામાં આવી છે. આ કાર્યવાહીના પગલે, વહીવટી તંત્રને 11.71 લાખ રૂપિયાની આવક થઈ છે.
50 કરોડનું માગણું: $32,400$ કરદાતા પાસેથી 15.20 કરોડ વસૂલ
મનપાના ચોપડે કુલ 60,650 મિલકતો નોંધાયેલી છે અને કુલ 50 કરોડનું વેરાનું માગણું છે. અત્યાર સુધીમાં, 32,400થી વધુ કરદાતાઓ પાસેથી 15.20 કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી છે. જોકે, લગભગ 28,000ની આસપાસના કરદાતાઓ પાસેથી હજી વેરાની વસૂલાત બાકી છે. બાકીદારો પાસેથી રિકવરી માટે તંત્ર દ્વારા નોટિસો આપવાની ઝુંબેશ ચાલુ છે અને આગામી સમયમાં મોટા બાકીદારો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
ગ્રામીણ વિસ્તારના રેકોર્ડ હસ્તાંતરણમાં મુશ્કેલી, ID-પાસવર્ડનો વિવાદ યથાવત્
1 જાન્યુઆરી, 2025ના રોજ ગાંધીધામ, આદિપુર, શિણાય, અંતરજાળ, મેઘપર બોરીચી, મેઘપર કુંભારડી અને ગળપાદરના સમાવેશ સાથે ગાંધીધામને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યું હતું. જેના પગલે ગ્રામ્ય વિસ્તારોના રેકોર્ડ મનપાને હસ્તાંતરણ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જોકે, આ દરમિયાન તલાટી મંત્રીઓની બદલી થઈ જતાં અને તત્કાલીન સમયના અમુક તલાટી મંત્રીઓ દ્વારા આઈડી અને પાસવર્ડ આપવામાં ન આવતા હોવાથી મનપા પાસે ગ્રામીણ વિસ્તારના કરદાતાઓ તેમજ વેરા વસૂલાતનો કોઈ ઓનલાઇન ડેટા ઉપલબ્ધ નથી.
ગ્રામીણ વિસ્તારની અનેક મિલકતો રેકર્ડમાં ચડી ગઈ હોવાના આક્ષેપો થયા છે, પરંતુ ઓનલાઇન ડેટાના અભાવે તેની ચકાસણી થઈ શકી નથી. હાલમાં પણ અમુક તલાટી મંત્રીઓ આઈડી-પાસવર્ડ આપવાની તૈયારી ન બતાવતા હોવાથી ગ્રામીણ વિસ્તારની મિલકતો અને કરદાતાઓની માહિતી મળવવામાં મનપાને ભારે મુશ્કેલી પડી રહી છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક પગલાં ભરવા જરૂરી છે.