ગાંધીધામ પાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ તેજ: ૩૬ મોટા બાકીદારોને મિલકત જપ્તી વોરંટ

ગાંધીધામ પાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ તેજ: ૩૬ મોટા બાકીદારોને મિલકત જપ્તી વોરંટ ગાંધીધામ પાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ તેજ: ૩૬ મોટા બાકીદારોને મિલકત જપ્તી વોરંટ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :  ગાંધીધામ નગરપાલિકા (જીએમસી) દ્વારા વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના રૂ. ૫૦,૦૦૦થી વધુની રકમના ૩૬ મોટા બાકીદારોને મિલકત જપ્તીની નોટિસ ફટકાર્યા બાદ હવે તેમની મિલકતો જપ્ત કરવા માટે વોરંટ ઇસ્યૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા ગમે ત્યારે આ બાકીદારોની મિલકતો સીલ કરીને વેરાની વસૂલાત કરવામાં આવશે.

પાલિકા માટે વેરાની આવક મુખ્ય સ્ત્રોત હોય, ચાલુ નાણાકીય વર્ષમાં કુલ રૂ. ૪૯.૫૦ કરોડના લક્ષ્યાંક સામે તંત્ર સક્રિય રીતે વસૂલાત ઝુંબેશ ચલાવી રહ્યું છે. નાણાકીય વર્ષના પ્રથમ ૫૮ દિવસમાં અત્યાર સુધીમાં આશરે રૂ. ૪.૩૯ કરોડની વસૂલાત કરવામાં પાલિકાને સફળતા મળી છે. આ માટે પાણી પુરવઠા વિભાગના વાલ્વમેન અને મેલેરિયા વિભાગના કર્મચારીઓની મદદથી બિલ વિતરણની કામગીરી હાથ ધરાઈ હતી, અને જે વિસ્તારોમાં બિલો પહોંચી ગયા છે ત્યાં વસૂલાતની કાર્યવાહી વેગવંતી બનાવવામાં આવી છે.

અગાઉ, પાલિકાના ટેક્સ વિભાગે રૂ. ૫૦,૦૦૦થી વધુ રકમના ૪૦ બાકીદારોને મિલકત જપ્તીની નોટિસ આપી હતી. આ પગલાંને કારણે બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો અને તેમાંથી ૨૦ જેટલા બાકીદારોએ રૂ. ૨૦ લાખથી વધુની રકમ તાત્કાલિક જમા કરાવી હતી. હવે બાકી રહેલા ૩૬ મોટા ડિફોલ્ટરો સામે મિલકત જપ્તી વોરંટ જારી કરીને કડક પગલાં લેવાઈ રહ્યા છે.

ગત નાણાકીય વર્ષમાં પાલિકાએ કુલ રૂ. ૧૯ કરોડની વેરા વસૂલાત કરી હતી. જ્યારે ચાલુ વર્ષે લક્ષ્યાંક રૂ. ૪૯.૫૦ કરોડથી વધુ છે. આ ઉપરાંત, ગત વર્ષના જે બાકીદારોએ વેરો ભર્યો નથી, તેમની પાસેથી પાલિકાનું રૂ. ૩૧ કરોડથી વધુનું લેણું બાકી છે. આ રકમ વસૂલવા માટે મોટા બાકીદારોની યાદી તૈયાર કરી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જવાબદાર અધિકારીઓએ જણાવ્યું હતું. બીજી તરફ, નિયમિત કરદાતાઓ માટે હાલ ૧૦ ટકા રિબેટ યોજના કાર્યરત છે, જેનો લાભ લઈને અનેક નાગરિકો પોતાનો ચાલુ વર્ષનો વેરો ભરી રહ્યા છે, જેના થકી અત્યાર સુધીમાં રૂ. ૪.૩૮ કરોડની આવક થઈ છે.

ઈ-નગર સર્વરની સમસ્યા યથાવત: નાગરિકો પરેશાન

એક તરફ પાલિકા તંત્ર વેરા વસૂલાત માટે કડકાઈ દાખવી રહ્યું છે, તો બીજી તરફ ઈ-નગર પોર્ટલના સર્વરમાં વારંવાર સર્જાતી ખામીને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી સર્વરમાં વારંવાર સમસ્યા ઊભી થતાં ટેક્સ ભરવા માટે પાલિકા કચેરીએ આવતા લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ નિરાશ થઈને પરત ફરવું પડે છે, જેને કારણે રોષ જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસ સુધી તો સર્વર સંપૂર્ણપણે બંધ રહ્યું હતું. સર્વરની ખામીને લીધે નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન ટેક્સ પણ ભરી શકતા નથી. આ ટેકનિકલ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવી વ્યવસ્થા સુધારવાની માંગ પ્રબળ બની છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *