ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતીય ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બીજી તરફ ભારતની અંડર-19 ટીમે ઈંગ્લેન્ડ યંગ લાયન્સ સામે એવી જીત નોંધાવી જેનાથી સમગ્ર દેશ ગર્વ અનુભવ્યો. ભારતીય યુવા ટીમે 231 રનની ઐતિહાસિક જીત મેળવી, જેમાં મુખ્ય ભૂમિકા નિભાવી ગુજરાતના મૂળના 18 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન હરવંશ પંગલિયાએ.
લફબરોમાં રમાયેલી એકદિવસીય મેચમાં ભારતે પહેલાં બેટિંગ કરતા 60 ઓવરમાં 442 રનનો મહાકાય સ્કોર બનાવ્યો હતો. ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રે માત્ર 1 રન બનાવી પાવેલિયન પરત ફર્યા હતા, જ્યારે IPLના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી 17 રન બનાવી આઉટ થયા હતા. પરંતુ ત્યારપછી હરવંશ પંગલિયાએ મંચ સંભાળ્યો અને માત્ર 52 બોલમાં અણનમ 103 રન ફટકાર્યા હતા, જેમાં 8 ચોગ્ગા અને 9 છગ્ગા સામેલ હતા.
અન્ય યંગ સ્ટાર્સમાં રાહુલ કુમારે 73, કનિષ્ક ચૌહાણે 79 અને આર.એસ. અંબરીશે 72 રન બનાવ્યા હતા. ભારતની બેટિંગ પછી બોલિંગમાં દીપેશ દેવેન્દ્રે 3, નમન પુષ્પક અને વિહાન મલ્હોત્રાએ 2-2 વિકેટ ઝડપી, અને ઇંગ્લેન્ડ યંગ લાયન્સની ટીમને માત્ર 211 રનમાં ઓલઆઉટ કરી દીધી.
હરવંશ પંગલિયાની પૃષ્ઠભૂમિ પણ પ્રેરણાદાયી છે. કચ્છના મૂળ વતની અને હવે કેનેડાના બ્રેમ્પટનમાં રહેતા હરવંશના પિતા ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરે છે. હરવંશે નકુલ અયાચીના માર્ગદર્શન હેઠળ નીલકંઠ ક્રિકેટ એકેડેમીમાંથી તાલીમ લીધી છે. આજે હરવંશનું સપનુ છે કે તે ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રમત રમી પોતાની જર્સી પહેરે – અને તે હવે આ સપનાને સાકાર કરવાની દિશામાં દ્રઢપણે આગળ વધી રહ્યો છે.