ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ તાપમાનમાં ભારે વધારો થવાથી લોકો કાળઝાળ ગરમીથી પરેશાન બન્યા છે. 43થી 46 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાતા શ્રમ આયોગે તાત્કાલિક પગલાં લીધાં છે.
શ્રમ આયોગની કચેરી દ્વારા નવો આદેશ જાહેર થયો છે જેમાં બપોરે 1થી 4 વાગ્યા વચ્ચે શ્રમિકો પાસે કોઈપણ પ્રકારનું કામ કરાવવું નહીં એવી સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. ખાસ કરીને ખુલ્લી જગ્યાઓ જેવી કે મોટા બાંધકામના સ્થળો કે જ્યાં સીધો સૂર્યપ્રકાશ લાગતો હોય, ત્યાં કામ પૂરતું બંધ રાખવા માટે સૂચવાયું છે.
આ નિયમો જૂન 2025 સુધી અમલમાં રહેશે અને શ્રમિકોની તબિયતને નુકસાન ન થાય તે માટે કંપનીઓ, બાંધકામ સાઇટ્સ અને મજૂરોના સંગઠનોએ આના પાલનનું કડકથી પાલન કરવાનું રહેશે.
હવામાન વિભાગ મુજબ આવતા દિવસોમાં તાપમાન ફરીથી વધી શકે છે, ખાસ કરીને સોમવાર બાદ. ગુરુવારે કંડલા એરપોર્ટ પર તાપમાન 46 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં પણ 43.3 ડિગ્રી તાપમાન સાથે ચોથા દિવસે પણ ઉકળાટ યથાવત રહ્યો હતો.