ગાંધીધામ ટુડે, ન્યૂઝ : દીન દયાલ પોર્ટ ઓથોરિટી (DPA) અને સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન (SRC) ના સંયુક્ત બેઠકમાં ગાંધીધામ અને આદિપુરના લીઝના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ચર્ચા થઈ હતી. 15 ઓગસ્ટના રોજ DPAના વહીવટી બિલ્ડિંગમાં યોજાયેલી આ બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય માલતી મહેશ્વરી સહિતના જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં DPA ચેરમેન સુશીલ કુમાર સિંહ, ડેપ્યુટી ચેરમેન નીલભરાદાસ ગુપ્તા, SRCના ચેરપર્સન પ્રેમભાઈ લાલવાણી અને કચ્છ જિલ્લા મહામંત્રી ધવલ આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. જનપ્રતિનિધિઓએ બંને સંસ્થાઓને લીઝના પ્રશ્નનો ઝડપી અને સકારાત્મક ઉકેલ લાવવા માટે સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જાહેર જનતા અને બંદરના વિકાસના હિતમાં ઝડપથી ઉકેલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે આ બેઠકને આવકારી અને પ્રશ્નોના નિરાકરણની આશા વ્યક્ત કરી.
DPAના અગાઉના પરિપત્ર અનુસાર, જ્યાં સુધી હિતધારકોની બેઠક ન થાય ત્યાં સુધી SRCને લીઝના મુદ્દે આગળની કાર્યવાહી પર સ્ટે મૂકવામાં આવ્યો હતો. આ બેઠક યોજાતા હવે સ્ટે હટાવી લેવામાં આવ્યો છે કે કેમ તે અંગે પોર્ટના સૂત્રોએ કોઈ સ્પષ્ટતા આપી નથી.
નવા બસ સ્ટેશન માટે પણ બેઠક યોજાઈ
ડીપીએ દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર ગાંધીધામમાં નવા એસટી બસ સ્ટેશનના નિર્માણ માટે પણ એક અલગ બેઠક યોજાઈ હતી. રાજ્ય પરિવહન વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં બસ સ્ટેશનની યોજના અને નકશાની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રોજેક્ટનું સમયસર અને સરળ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે વિવિધ રચનાત્મક સૂચનો આપવામાં આવ્યા હતા.