ગાંધીધામ ટુડે, ન્યૂઝ : તાજેતરમાં ભારતના સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું કે “ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થી આવીને રહેવા લાગે.” આ ટિપ્પણી જસ્ટિસ દીપાંકર દત્તાની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી, જેમાં જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન પણ સામેલ હતા.
આ કેસમાં એક શ્રીલંકન તમિલ યુવકે અરજી કરી હતી કે સજા પુરી થયા બાદ પણ તેને ભારત છોડવાનું કહેવું યોગ્ય નથી કારણ કે તે શરણાર્થી છે અને તેની પત્ની અને સંતાનો ભારતમાં રહે છે. અરજદારને પહેલા UAPAના કેસમાં 7 વર્ષની સજા થઇ હતી, જે તે હવે પુરી કરી ચૂક્યો છે. છતાં, તેને ત્રણ વર્ષથી કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે અને હવે તેને ડિપોર્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
જસ્ટિસ દીપાંકર દત્તાએ સવાલ કર્યો કે, “શું તમને ભારતમાં રહેવાનો કોઇ અધિકાર છે?” અને સ્પષ્ટપણે કહ્યું કે ભારત પોતાની જ વસતી – 140 કરોડની સાથે – સંઘર્ષ કરી રહ્યો છે, તો દુનિયાભરના શરણાર્થીઓને આવવાની છૂટ કેવી રીતે આપી શકાય?
કોર્ટએ કહ્યું કે આર્ટિકલ 21નું ઉલ્લંઘન નથી થયું અને આર્ટિકલ 19 હેઠળ રહેવાનો અધિકાર માત્ર ભારતીય નાગરિકોને છે. તેથી, અરજદારની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને કોઈ દખલ કરવાનું નક્કી કર્યું નથી.
આ ચુકાદો શરણાર્થી બાબતોમાં કાયદાકીય દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો ગણાય છે અને ભારતના આવકાર સંબંધિત મૌલિક નીતિ પર સ્પષ્ટતા કરે છે.