ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) અને ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ની ગાંધીધામ બ્રાંચ (WIRC) દ્વારા સંયુક્ત ઉપક્રમે ૩૧ મે, ૨૦૨૫ ના રોજ આવકવેરા બિલ, ૨૦૨૫ અંગે એક વિશેષ જાહેર જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. જી.સી.સી.આઈ. ભવન, ગાંધીધામ ખાતે બપોરે ૩:૩૦ થી ૫:૩૦ દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં ચેમ્બરના સભ્યો, સ્થાનિક ઉદ્યોગસાહસિકો, વેપારીઓ અને કર સલાહકારો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં CA મહેશ લિંબાણી, અધ્યક્ષ – ગાંધીધામ બ્રાંચ (WIRC) દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમણે આવકવેરા વિધેયકના પ્રસ્તાવિત ફેરફારોનું સામાજિક તથા વ્યવસાયિક મહત્વ રજૂ કર્યું.

આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો તરીકે શ્રી ગગન ઘુનાવત, સહાયક કમિશનર – આવકવેરા વિભાગ અને શ્રી મહેશ પુંજ, પ્રમુખ – ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગગન ઘુનાવતે આગામી સુધારાઓ અંગે સમજણ પૂરી પાડી અને હાજર સભ્યો સાથે મૌલિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જ્યારે શ્રી મહેશ પુંજે પધારેલ સર્વ મહેમાનોનું સ્વાગત કરીને કાર્યક્રમ વિશે વિશેષ ચર્ચા કરી હતી.
મુખ્ય પ્રવક્તા તરીકે અમદાવાદથી પધારેલા CA પલક પાવાગઢીએ આવકવેરા બિલ, ૨૦૨૫ ના મહત્ત્વપૂર્ણ પાસાંઓને સરળ ભાષામાં રજૂ કર્યા. ૯૦ મિનિટના આ માહિતીપ્રદ ચર્ચાસત્ર બાદ ૩૦ મિનિટનું ખુલ્લું મંચ સત્ર પણ યોજાયું હતું, જેમાં ઉપસ્થિતોએ પ્રશ્નો પૂછીને નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.
કાર્યક્રમના અંતે CA સમીર વી. મહેતા, સચિવ – ગાંધીધામ બ્રાંચ (WIRC) દ્વારા ઉલ્લેખનીય ભાગીદારી માટે સૌનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આવકવેરા બિલ ૨૦૨૫ અંગે જનતાને જાણકારી પૂરી પાડવામાં અત્યંત સફળ રહ્યો હતો.