ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ કિડાણા ગામના બે જાણીતાં માથાભારે ઇસમોને તાજેતરમાં તડીપાર કરવામાં આવ્યા છે. મિલકત સંબંધિત ગુનાઓમાં અવારનવાર સંડોવાયેલા આ બંને ઇસમો વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
તડીપાર કરાયેલા ઇસમોમાં અલ્તાફ ઉર્ફે કારો રમઝાન કક્લ અને ચંદ્રેશ ઉર્ફે કાંચો વિનોદભાઈ ભાટીયાનો સમાવેશ થાય છે. બંને ઈસમો મિલકત સાથે સંકળાયેલા ગુનાઓ, બદમાશી અને સ્થાનિક શાંતિમાં વિઘ્ન રૂપ ગણાતા હોવાને કારણે, તેમના ગુનાહિત ઇતિહાસના આધારે તડીપાર દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્ત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, અંજારને મોકલવામાં આવી હતી, જેને મંજૂરી મળતાં બંને ઈસમોને કચ્છ જિલ્લામાં તેમજ કચ્છને અડીને આવેલા જીલ્લાઓની હદમાંથી હદપાર કરવાનો હુકમ આપવામાં આવ્યો છે.
આ પગલાથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત થવાની શક્યતા છે અને પોલીસ તટસ્થ અને સક્રિય કામગીરી માટે પ્રશંસા પામી રહી છે.