ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ અને આસપાસના વિસ્તારોમાં નાગરિક સુવિધાઓના અભાવને કારણે પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે. ગટરના પાણી, ગંદકી, પાણી ભરાવા અને રસ્તાઓની બિસ્માર હાલત જેવી અનેક સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ઇન્દિરા નગરમાં ગટરના પાણીની સમસ્યા
ગાંધીધામના ઇન્દિરા નગર વિસ્તારમાં ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા વિકટ બની છે. ઠેર ઠેર ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંદા પાણીને કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે, તેમ છતાં તંત્ર દ્વારા આ સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી.

૪૦૦ ક્વાર્ટર શાક માર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય
ગાંધીધામના ૪૦૦ ક્વાર્ટર શાક માર્કેટમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શાકભાજીના વેસ્ટ અને અન્ય કચરાના ઢગલાને કારણે માર્કેટમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જે આરોગ્ય માટે પણ હાનિકારક છે. સફાઈના અભાવે વેપારીઓ અને ગ્રાહકો બંને પરેશાન છે.

ચાવલા ચોક પાસે જળબંબાકાર
ગાંધીધામના વ્યસ્ત એવા ચાવલા ચોક પાસે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અહીં વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટ્રાફિક જામની સમસ્યા પણ સામાન્ય બની ગઈ છે.

આદિપુર દુબઈ સિંધુનગરમાં પેવર બ્લોકની સમસ્યા
આદિપુર વોર્ડ નંબર ૬ એ માં આવેલ દુબઈ સિંધુનગર વિસ્તારમાં પેવર બ્લોક કાઢીને પોતાની લાઈન નાખ્યા બાદ ખાડા ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે. આ ખાડા એટલા જોખમી બન્યા છે કે તાજેતરમાં ગાંધીધામ નગરપાલિકાની લાઈટની ગાડી પણ તેમાં ફસાઈ ગઈ હતી. આના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.

સમગ્ર પરિસ્થિતિ જોતા, ગાંધીધામ નગરપાલિકા દ્વારા આ સમસ્યાઓ પ્રત્યે તાત્કાલિક ધ્યાન આપી, તેના નિરાકરણ માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.