ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આર્દ્રા નક્ષત્રના પ્રવેશ સાથે જ કચ્છમાં વરસાદે પોતાની હાજરી નોંધાવી છે. છેલ્લા ત્રણ દિવસથી વિસ્તૃત વરાપનો માહોલ છવાયો છે. હવે કચ્છી નવું વર્ષ માનવામાં આવતી આષાઢી બીજથી આગામી ત્રણ દિવસમાં જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાનવિભાગના અનુસંધાન મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો છે અને તેની અસર સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોમાં પણ જોવા મળી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આ આખું અઠવાડિયું કચ્છના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને ખાસ કરીને આષાઢી બીજથી ત્રણ દિવસ ભારે વરસાદની તીવ્ર શક્યતા છે. વરસાદ સાથે સાથે પવનની ઝડપ 5 થી 12 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે. તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન 32°C થી 34°C અને લઘુતમ 27°C થી 28°C નોંધાયું છે.
ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાતાવરણમાં ઉકળાટ યથાવત્ છે, ખાસ કરીને સવારે વધુ ભેજ જોવા મળે છે, જ્યારે સાંજના સમયે ભેજ ઘટે છે. અત્યાર સુધી જિલ્લામાં સરેરાશ 21 ટકાનો વરસાદ નોંધાયો છે.