ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતમાં મોનસૂનનું જોરદાર આગમન થતા અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાના 10 જળાશયો 100 ટકા ભરાઈ જતા તંત્રએ હાઇ એલર્ટ જાહેર કર્યો છે. જેમાં ધાતરવાડી, સુરેન્દ્રનગરનો વાંસલ અને લીમ-ભોગાવો-1 સહિતના જળાશયો સમાવિષ્ટ છે.
29 જળાશયો 70%થી વધુ ભરાતા એલર્ટ-વોર્નિંગ
This Article Includes
રાજ્યના વધુ 29 જળાશયો 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે, જેના કારણે વોચ રાખવા તંત્રએ એલર્ટ અને વોર્નિંગ જાહેર કર્યા છે.
રાજ્યમાં કુલ જળસંગ્રહ 45% ની સપાટીએ
રાજ્યના કુલ 207 જળાશયોમાંથી હાલમાં સરેરાશ 45.01% પાણી ઉપલબ્ધ છે. તેમાંથી સરદાર સરોવરમાં 50.15% પાણીનો સંગ્રહ છે. ગયા વર્ષે આ જ દિવસે આ આંકડો 38.26% હતો.
સૌરાષ્ટ્ર સૌથી આગળ: 48% પાણીભંડાર સાથે ટોચે
જળસંગ્રહના વિસ્તારમાં સૌરાષ્ટ્ર આગળ છે, જ્યાં 141 જળાશયોમાં સરેરાશ 48.15% પાણી ભરાયું છે. મધ્ય ગુજરાત 43.80%, દક્ષિણ ગુજરાત 42.03% અને ઉત્તર ગુજરાત 33.10% છે. કચ્છના 20 જળાશયો 28.72% ભરાયા છે.
સરદાર સરોવર સહિત મોટી નદીઓમાં ભારે આવક
હાલ સરદાર સરોવરમાં 18,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. દમણગંગા અને ઓઝત-વિઅર જેવી નદીઓમાં પણ 13 થી 16 હજાર ક્યુસેક જેટલી જળઆવક નોંધાઈ છે.