ગાંધીધામ ટુડે, ન્યૂઝ : મુંબઈ શહેરમાં ફરી એકવાર આતંકવાદી હુમલાની ધમકીથી ચકચાર મચી ગઈ છે. તાજમહેલ પેલેસ હોટેલ અને છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો ઇમેઇલ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો છે. મળેલી માહિતી અનુસાર, ઇમેઇલમાં આતંકવાદી અફઝલ ગુરુ અને શૈવક્કુ શંકરની ફાંસીનો ઉલ્લેખ કરીને તેને ‘અન્યાય’ ગણાવ્યો છે અને તેના બદલો લેવા માટે આ હુમલાની ધમકી આપવામાં આવી છે.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ
This Article Includes
ધમકીભર્યો ઇમેઇલ મળતાં જ મુંબઈ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તાત્કાલિક તપાસ શરૂ કરી છે. તાજમહેલ હોટેલ અને એરપોર્ટની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. સ્થાનિક બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ ક્વિક રિએક્શન ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ છે અને સંભવિત ખતરાની શક્યતા સામે તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ આવી ધમકીઓ મળી હતી
આ ઘટના 26/11ના મેમોરિઝને તાજી કરે છે, જ્યારે તાજ હોટેલ આતંકવાદીઓનો મુખ્ય ટાર્ગેટ બની હતી. મહત્વનું છે કે, એ પહેલી વાર નથી જ્યારે આવી ધમકી મળી હોય.
- નવેમ્બર 2023: મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર બોમ્બ મુકવાની ધમકી આપતી ઇમેઇલ મળી હતી જેમાં 10 લાખ ડોલરના બિટકોઈનની માંગ કરી હતી. અંતે તે નકલી ધમકી સાબિત થઈ હતી.
- નવેમ્બર 2024: અજાણ્યા વ્યક્તિએ CISF કંટ્રોલ રૂમમાં ફોન કરીને એમ જણાવ્યું કે વિસ્ફોટકો સાથે એક વ્યક્તિ મુંબઈથી અઝરબૈજાન જઈ રહ્યો છે. તપાસમાં આ ધમકી પણ ખોટી સાબિત થઈ હતી.
- 27 મે 2024: તાજમહેલ હોટેલ અને એરપોર્ટને ઉડાવી દેવાની ફોન દ્વારા મળી ધમકી પણ ખોટી નીવડી હતી.
શું તપાસમાં સામે આવ્યું?
હાલના ઇમેઇલની વિગતવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષા તંત્રે હોટેલ અને એરપોર્ટની આસપાસ પેટ્રોલિંગ વધાર્યું છે અને CCTV ફૂટેજ, ઇમેઇલ ટ્રેસિંગ તથા ઇન્ટેલિજન્સ ડેટા પરથી વધુ વિગતો મેળવી રહી છે.