ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં વર્ષોથી વ્યાપક બનેલા દબાણોને દૂર કરવા માટે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે અને અનેક જગ્યાએથી દબાણો હટાવવામાં પણ આવ્યા છે.
શહેરમાં સુંદરપુરી ચાર રસ્તાથી લઈને ભારતનગર વોર્ડ ઓફિસ સુધીના વરસાદી નાલા ઉપરના દબાણો સફાઈ કાર્યમાં મોટો અવરોધ ઊભો કરી રહ્યા છે. આ દબાણોના કારણે પાણીનો નિકાલ વ્યવસ્થિત રીતે થઈ શકતો નથી, જેના પરિણામે ચોમાસામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં ૨૮થી વધુ લોકોને નોટિસ આપી છે.
તેવી જ રીતે, જૂના પોલીસ સ્ટેશનની પાછળના ભાગે અતિક્રમણના કારણે રસ્તો અત્યંત સાંકડો થઈ ગયો છે, જેનાથી ટ્રાફિકની સમસ્યા વકરી છે. અહીં પણ મહાનગરપાલિકાએ ૧૧થી વધુ દબાણકર્તાઓને નોટિસ પાઠવી છે. આ બંને જગ્યાઓએ નોટિસમાં દર્શાવેલ સમય મર્યાદામાં સ્વેચ્છાએ દબાણ દૂર નહીં થાય તો વહીવટી તંત્ર દ્વારા જેસીબી (JCB) વડે કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
તાજેતરમાં જ રેલવે સ્ટેશન આગળના વરસાદી નાલા ઉપર અને તેની આસપાસથી લારીઓના દબાણો સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા છે.
આ દબાણો માત્ર ટ્રાફિક જ નહીં, પરંતુ પાણી અને ગટર જેવી આવશ્યક સેવાઓ પર પણ ગંભીર અસર પાડી રહ્યા છે. મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીથી શહેરના નાગરિકોને ટ્રાફિક અને અન્ય સમસ્યાઓમાંથી રાહત મળવાની આશા છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં દબાણોનું સામ્રાજ્ય સ્થાપિત થયું હતું. લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થતી નહોતી. જોકે, મહાનગરપાલિકા બન્યા પછી વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે સક્રિયતા દાખવવામાં આવી છે અને શહેરને દબાણમુક્ત બનાવવાની દિશામાં કાર્યવાહી વેગવંતી બની છે.