ગાંધીધામ ટુડે, ન્યૂઝ | 1 મે, 2025
ગાંધીધામના આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે આજે એક ઇતિહાસ રચાયો છે. મહાનગરપાલિકા દ્વારા આજે સવારે શરૂ કરાયેલા ડોર ટુ ડોર કચરો કલેક્શન અભિયાન સાથે હવે શહેરની જેમ ગામડાઓને પણ રોજિંદી સફાઈ સેવાઓ મળશે.
ગાંધીધામ મહાનગરપાલિકાના કચેરીથી આજે સવારથી આજ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉદ્ઘાટન પ્રસંગે શહેરના ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, મનપા કમિશ્નર શ્રી મિતેશ પંડયા, ડેપ્યુટી કમિશ્નરશ્રીઓ શ્રી મેહુલ દેસાઈ અને શ્રી સંજય રામાનુજ, તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચરો ઉપાડનારા વાહનોને લીલી ઝંડી આપી શહેરના નવા વિસ્તારો તરફ રવાના કરવામાં આવ્યા હતા.

ગામડાઓમાં પણ સ્વચ્છતા હવે શહેરી માફક
જ્યારે ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો ત્યારે નજીકના ઘણા ગામડાઓ – જેમ કે મેઘપર, કિડાણા, દાદર, પાલસર, જરમણકડી વગેરેનો પણ સમાવેશ થયો હતો. પરંતુ આ વિસ્તારોમાં મનપાની સીધી સફાઈ સેવા હજુ સુધી ઉપલબ્ધ નહોતી. આજે શરૂ કરાયેલ ડોર ટુ ડોર કચરો કલેક્શન અભિયાનથી હવે આ વિસ્તારોમાં પણ નાગરિકોને શહેર જેવી સેવા મળી રહેશે.
મહાનગરપાલિકા દ્વારા ફાળવાયેલા વાહનો દરરોજ નક્કી કરેલા રૂટ પ્રમાણે દરેક ઘરની બહારથી ઘરોમાંથી પડતો સૂકો અને ભીનો કચરો અલગ અલગ એકત્રિત કરશે. આ અભિયાનથી માત્ર સફાઈ નહીં, પણ કચરા વ્યવસ્થાપનમાં પણ સુધારાઓ થશે. મનપાએ નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ ઘરમાંથી કચરો છાનીને આપે અને સ્થળ ઉપર જ કચરો ન ફેંકે.

તંત્રની પ્રતિબદ્ધતા અને સ્થાનિક આગેવાનોનો સહકાર
આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે “ગાંધીધામની સ્વચ્છતા માટે તંત્રનો પ્રયાસ પ્રશંસનીય છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જો નાગરિકો સહકાર આપે તો સમગ્ર વિસ્તાર રાષ્ટ્રીય સ્તરે પણ શ્રેષ્ઠ બની શકે છે.”
કમિશ્નર શ્રી મિતેશ પંડયા દ્વારા જણાવાયું હતું કે “આ અભિયાન માત્ર સફાઈ પૂરતું નથી, આ શહેરના નાગરિકોની આરોગ્યસંચાલન માટેનો મહત્વપૂર્ણ પગલું છે. અમે ધીમે ધીમે અન્ય સેવાઓ પણ નવા વિસ્તારો સુધી લઈ જઈશું.”
ગાંધીધામ હવે માત્ર ઔદ્યોગિક હબ નથી રહ્યો, પણ વિકાસ અને વ્યવસ્થિત શહેરી સુવિધાઓની દૃષ્ટિએ આગળ વધી રહેલું મહાનગર બની રહ્યું છે. આજનો દિવસ એ દિશામાં એક મોટું પગથિયું છે – જ્યાં ગ્રામ્ય વિસ્તારો માટે પણ તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું છે.