ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુરમાં ફરી એકવાર મહિલા સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કરતી એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દિલ્હીના ચકચારી ‘નિર્ભયાકાંડ’ની યાદ અપાવતી આ ઘટનામાં, આદિપુરના શિણાય નજીક ૧૫.૯ વર્ષીય એક સગીરાનું અપહરણ કરી બે નરાધમોએ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભય અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે.
આઘાતજનક બાબત એ છે કે, થોડા સમય પહેલાં જ આ જ વિસ્તારમાં પોલીસના નામે પ્રેમી યુગલો પાસેથી રૂપિયા પડાવવાની ઘટના બની હતી. હવે એ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને બે હવસખોરોએ આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું છે. મોડી રાત્રે સગીરાના ભાઈએ આદિપુર પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આદિપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પોક્સો એક્ટ, અપહરણ અને દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુનામાં સંડોવાયેલા બંને શખ્સો પોલીસની ગિરફ્તમાં આવવાની અણી પર છે.
ઘટનાક્રમ: પોલીસના નામે ધમકી આપી, અપહરણ કરી આચર્યું અમાનવીય કૃત્ય
This Article Includes
પોલીસ ફરિયાદ મુજબ, ઘટના સાંજે સાડા સાતના અરસામાં બની હતી. ગુનાનો ભોગ બનેલી સગીરા તેના પરિચિત કિશોર વયના યુવક સાથે શનિદેવ મંદિરથી શિણાય તરફ જઈ રહી હતી. તે સમયે અચાનક બે અજાણ્યા યુવકોએ તેમને આંતર્યા હતા. આ નરાધમોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી, બંનેને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી હતી. આ ધમકી આપીને એક આરોપી સગીરાને તેની સ્કૂટી પર બેસાડીને જ્યારે બીજો આરોપી કિશોરને તેના બાઇક પર બેસાડીને અપહરણ કરી ગયો હતો.
અપહરણ બાદ, સ્કૂટી પર સગીરાને લઈ ગયેલો અજાણ્યો શખ્સ થોડે આગળ ટેકરા જેવી એક નિર્જન જગ્યાએ પહોંચ્યો હતો. ત્યાં તેણે સગીરા સાથે શારીરિક દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો. સગીરાએ આ કૃત્યનો સખત વિરોધ કર્યો અને પ્રતિકાર કર્યો. પરંતુ, આ હવસખોરે તેને વધુ ધમકાવી હતી અને કહ્યું હતું કે, “તને મારીને અહીં જ દાટી દઈશ અને જો તાબે નહીં થાય તો હું મારા બીજા દોસ્તોને અહીં બોલાવીશ અને તેઓ પણ તેની સાથે આવું કરશે.”
પ્રતિકાર છતાં સગીરાને ભોગવી, રોડ પર ઉતારી ફરાર
સગીરાએ પોતાનો બચાવ કરવા માટે શારીરિક બળનો પણ પ્રતિકાર કર્યો હતો, જેના કારણે તેને સંવેદનશીલ ભાગમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. આમ છતાં, હવસખોર શખ્સે સગીરા પાસે બળજબરીપૂર્વક પોતાની હવસ સંતોષી હતી. આ દરમિયાન તેનું વીર્ય સગીરાના કપડાં પર પડ્યું હતું, જે ગુનાનો એક મહત્વપૂર્ણ પુરાવો બની રહેશે. પોતાની હેવાનીયત સંતોષ્યા બાદ, અજાણ્યો શખ્સ સગીરાને ફરી સ્કૂટી પર બેસાડીને અંજાર તરફના નાયર પેટ્રોલ પંપ પાસે રસ્તા પર ઉતારીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.
કિશોરની સમયસૂચકતા: બીજા આરોપીનો નાસવાનો પ્રયાસ નિષ્ફળ
દરમિયાન, સગીરા સાથે રહેલા કિશોરને બીજો યુવક બાઇક પર બેસાડીને શનિ મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે કિશોરે હિંમત કરીને ચાલતા બાઇક પરથી કુદીને બાઇક પાડી દીધું હતું. કિશોરની આ સમયસૂચકતાથી ગભરાઈ ગયેલો યુવક નંબર પ્લેટ વગરનું કાળા રંગનું સુઝુકી બાઇક ત્યાં જ છોડીને નાસી ગયો હતો. પોલીસે આ બાઇક કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં મહિલાઓની, ખાસ કરીને સગીરાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. પોલીસ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડી કાયદાના કઠેડામાં ઉભા કરવામાં આવશે તેવી આશા છે. લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ અને ન્યાયની અપેક્ષા પ્રવર્તી રહી છે.