કચ્છમાં “નો રોડ – નો ટોલ” આંદોલન 15 દિવસ માટે મુલતવી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :  કચ્છ જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની દયનિય હાલત અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી શરૂ કરાયેલ “નો રોડ – નો ટોલ” નામક શાંતિપૂર્ણ આંદોલન હાલ તાત્કાલિક રીતે ૧૫ દિવસ માટે મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આજે ગાંધીધામના ચેમ્બર ભવન ખાતે યોજાયેલી સંયુક્ત બેઠકમાં આ નિર્ણાયક ઠરાવ લેવામાં આવ્યો હતો.

નવો પ્રોજેક્ટ ડાયરેક્ટર અને રાષ્ટ્રીય સંવેદના પૃષ્ઠભૂમિમાં નિર્ણય

આ બેઠકમાં નવી રીતે નિમણૂક થયેલા નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી અજય સ્વામી હાજર રહ્યા હતા. તેમણે દાખવેલા સહાનુભૂતિભર્યા અને સકારાત્મક અભિગમને પગલે તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો અને ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારોએ મળીને ૨૫ એપ્રિલથી શરૂ થનાર આંદોલન હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો.

સાથે સાથે, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલી નિર્દોષ નાગરિકો પર થયેલી આતંકી હિંસાની હૃદયદ્રાવક ઘટનાને ધ્યાનમાં રાખી, રાષ્ટ્રીય સંજોગોમાં સંવેદનશીલતા અને એકતા પ્રદર્શિત કરવી જરૂરી હોવાનું સભ્યોને લાગ્યું.

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનું સંયમભર્યું નિવેદન: ‘સંવાદ પહેલાં – આંદોલન પછી’

ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજાએ જણાવ્યું કે, “જ્યારે દેશ એક દુઃખની ઘડીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ઉદ્યોગજગતે પણ જવાબદારીપૂર્વકનો સંયમ બતાવવો જરૂરી છે. સાથે નવા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની નિમણૂકથી હવે નવા આશાવાદ માટે દોરી ખૂલી છે.”

ટ્રાન્સપોર્ટ કમિટીના કન્વીનર હરીશ માહેશ્વરી અને માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું કે ચેમ્બરની હંમેશા ઉકેલમુખી દ્રષ્ટિ રહી છે. “અમે માનીએ છીએ કે પહેલો પ્રયાસ હંમેશા સંવાદનો હોવો જોઈએ. હાલની પરિસ્થિતિમાં શાંતિ જ શ્રેષ્ઠ માર્ગ છે,” તેમ તેમણે ઉમેર્યું.

પ્રોજેક્ટ ડાયરેક્ટરનો આશાસ્પદ પ્રતિસાદ

શ્રી અજય સ્વામીએ કહ્યું કે તેઓ કચ્છના રસ્તાઓની હાલત વિશે માહિતગાર છે અને પોતાની નિમણૂકના કાર્યકાળ દરમિયાન પ્રાથમિકતા પ્રમાણે કામગીરી હાથ ધરાશે.

બેઠકમાં ચેમ્બરના હોદેદારો ઉપરાંત ટેઝા કાનગડ, નરેન્દ્ર રામાણી, કૈલાશ ગોર, રાહુલ મીના, કોન્ટ્રાકટર શિવાય હાર્દિકના પ્રતિનિધિ અને અનેક ટ્રાન્સપોર્ટ એસોસિએશનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *