ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જોડિયા શહેરોમાં આવેલી 15 જર્જરિત ઇમારતો, જેમાં ગાંધીમાર્કેટનો પણ સમાવેશ થાય છે, તેને તોડી પાડવા માટે નોટિસો ફટકારવામાં આવી છે. આ કાર્યવાહી ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશનની કલમ 264 હેઠળ કરવામાં આવી છે.
નોટિસમાં જણાવાયું છે કે, સાત દિવસની સમયમર્યાદામાં બિલ્ડિંગના સંચાલકો અથવા માલિકો દ્વારા જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો મહાનગરપાલિકા દ્વારા પાણી અને ગટરના જોડાણો કાપી નાખવામાં આવશે. આ ઉપરાંત, વીજળીના જોડાણો કાપવા માટે PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) ને ભલામણ કરવામાં આવશે.
ગાંધીધામની ગાંધીમાર્કેટની સ્થિતિ અત્યંત જર્જરિત છે, છતમાંથી મોટા ગાબડાં પડવાની ફરિયાદો તાજેતરમાં ઊઠી હતી, જેના પગલે સંબંધિત વિભાગના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આદિપુરમાં ફોર-એમાં બે, ફોર-બીમાં એક અને થ્રી-એમાં એક એમ કુલ ચાર ઇમારતોને નોટિસ અપાઈ છે. જ્યારે ગાંધીધામમાં સેક્ટર-2, સેક્ટર-7, વોર્ડ-10-એ ગુરુકુળ, સેક્ટર-5 હાઉસિંગ, સેક્ટર-8, સેક્ટર-9 અને વોર્ડ-12-બી સહિત કુલ 11 જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી છે, જેથી કોઈ આકસ્મિક દુર્ઘટના સર્જાય તે પહેલાં તેને તોડી શકાય.
મનપાના સૂત્રોએ નોટિસ આપ્યાની વાતને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, સમયમર્યાદા પૂર્ણ થયા પછી જો બિલ્ડિંગ અંગે સંચાલકો કે માલિકો દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે અથવા કાર્યવાહી કરવામાં નહીં આવે, તો મહાનગરપાલિકા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ આદિપુરમાં જોખમી ઇમારતને નોટિસ આપ્યા બાદ તેને સ્વેચ્છાએ તોડવાની કાર્યવાહી થઈ હતી.
તાલુકા પંચાયતનું બિલ્ડિંગ પણ જર્જરિત અવસ્થામાં હોવાથી, લોકો દ્વારા માંગ ઉઠી છે કે જેટલાં સરકારી બિલ્ડિંગો જર્જરિત છે, તેના પર પણ ખુદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે. જોડિયા શહેરોમાં લોકો માટે જોખમી બનેલી ઇમારતો પર ઝડપથી કાર્યવાહી થાય તેવી પણ માંગ ઊઠી છે.