ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: 63ના મોત, 56 ગુમ, 40 યાત્રાળુઓનું રેસ્ક્યુ

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: 63ના મોત, 56 ગુમ, 40 યાત્રાળુઓનું રેસ્ક્યુ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: 63ના મોત, 56 ગુમ, 40 યાત્રાળુઓનું રેસ્ક્યુ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉત્તરાખંડના કેદારનાથ ધામ પરત ફરી રહેલા 40 યાત્રાળુઓ સોનપ્રયાગ સ્લાઇડ ઝોનમાં ફસાયા હતા, જેમનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે અને 56 લોકો ગુમ હોવાના અહેવાલ છે.

કેદારનાથમાં 40 યાત્રાળુઓનું રેસ્ક્યુ:
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સોનપ્રયાગ નજીક સ્લાઇડ ઝોનમાં અચાનક ભૂસ્ખલન થતાં કેદારનાથથી પરત ફરી રહેલા 40 યાત્રાળુઓ ફસાયા હતા. ઘટનાની જાણ થતા જ SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સુરક્ષિત માર્ગ બનાવીને તમામ યાત્રાળુઓને સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા. આ યાત્રાળુઓ મોડી રાત્રે 1 વાગ્યે ફસાયા હતા. અગાઉ ભારે વરસાદ અને ભૂસ્ખલનની આશંકાને પગલે રવિવારે ચારધામ યાત્રા એક દિવસ માટે રોકવામાં આવી હતી, જે સોમવારે ફરી શરૂ થઈ હતી.

Advertisements

હિમાચલ પ્રદેશમાં વિનાશક વરસાદ:
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, 20 જૂનથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 63 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 56 લોકો ગુમ છે. 103 લોકો ઈજાગ્રસ્ત થયા છે, 84 પશુઓ મૃત્યુ પામ્યા છે અને 223 ઘરોને નુકસાન થયું છે. સૌથી વધુ અસર મંડી જિલ્લામાં જોવા મળી છે, જ્યાં 13 લોકોના મોત થયા છે અને 29 લોકો ગુમ છે. થુનાગમાં પાંચ, કરસોગમાં એક અને ગૌહરમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે જોગિન્દ્રનગરના સ્યાંજમાંથી બે મૃતદેહો મળી આવ્યા છે.

વીજળી અને પાણી પુરવઠાને અસર:
સોમવારે રાત્રે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને કારણે 100થી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. 918 વીજ ટ્રાન્સફોર્મર અને 683 પીવાના પાણીની સુવિધાઓ ઠપ થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વરસાદી તારાજીને કારણે હિમાચલ પ્રદેશને અંદાજે ₹407.02 કરોડનું નુકસાન થયું છે.

Advertisements

સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવામાં આવી રહી છે. લોકોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment