ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ 25થી 27 જૂન દરમિયાન ચીનના કિંગદાઓમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) રક્ષામંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ પણ હાજર રહેશે. ખાસ વાત એ છે કે, આ ચીનની મુલાકાત છેલ્લા 7 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય મંત્રી કરશે. તેની પૂર્વે એપ્રિલ 2018માં તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ચીન ગયા હતા.
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત-ચીન વચ્ચેના તણાવભર્યા સંબંધોમાં ધીમે ધીમે સુધારાની પ્રક્રિયા શરૂ થઈ છે. વેપાર, મુસાફરી અને સંવાદમાં વધારો થયો છે. સાથે સાથે કૈલાશ માનસરોવર યાત્રા ફરીથી શરૂ થઈ છે અને ડેપસાંગ તથા ડેમચોક વિસ્તારમાં પણ પેટ્રોલિંગ અંગે ચર્ચા આગળ વધી છે.
રાજનાથ અને ચીનના રક્ષામંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક
This Article Includes
રાજનાથ સિંહ ચીનના રક્ષામંત્રી એડમિરલ ડોંગ જુન સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. બેઠકમાં વિઝા નીતિ, યાત્રાઓ, પાણીના ડેટાની શેયરિંગ અને હવાઈ કનેક્શન પુનઃસ્થાપિત કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. બંને નેતાઓ છેલ્લે લાઓસ ખાતે ADMM-પ્લસ સમિટમાં મળી ચૂક્યા છે.
સરહદ વિવાદ પર પણ ચર્ચા શક્ય: અગાઉ થયેલા નિર્ણયો
પૂર્વ લદ્દાખમાં ડેપસાંગ અને ડેમચોક વિસ્તાર અંગે 2024 ડિસેમ્બરમાં ભારત અને ચીન વચ્ચે કરાર થયો હતો, જેમાં બંને દેશોએ એપ્રિલ 2020 પહેલા જેવી સ્થિતિમાં પાછા જવાનું નક્કી કર્યું હતું. 25 ઓક્ટોબર, 2024થી બંને સેનાઓએ પીછેહઠ પણ શરૂ કરી હતી. એ વિસ્તારમાં તંગદિલી ગલવાન ઘાટીની અથડામણ પછી વધી હતી, જેના નિરાકરણ માટે 4 વર્ષ પછી સહમતી થઈ હતી.
SCO શું છે?
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એ એક પ્રાદેશિક સંગઠન છે, જે 2001માં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન દ્વારા સ્થાપિત થયું હતું. ભારત અને પાકિસ્તાન 2017માં જ્યારે ઈરાન 2023માં સભ્ય બન્યા. સંગઠનનો મુખ્ય ઉદ્દેશ સુરક્ષા, આર્થિક અને રાજકીય સહયોગ વધારવાનો છે. ખાસ કરીને આતંકવાદ, ઉગ્રવાદ અને સાયબર ક્રાઈમ સામે સંયુક્ત વ્યૂહરચના બનાવવી એ પણ મહત્વપૂર્ણ હેતુ છે.