ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છના લખપત તાલુકાના લાખાપર ગામ નજીકથી 5300 વર્ષ જૂના પ્રારંભિક અને મુખ્ય હડપ્પા સંસ્કૃતિના મહત્વપૂર્ણ પુરાવાઓ મળ્યા છે. કેરાલા યુનિવર્સિટી દ્વારા 2019-20 અને 2022માં હાથ ધરાયેલા આર્કિયોલોજીકલ ખોદકામના ભાગરૂપે આ ઐતિહાસિક શોધ થઈ છે, જેમાં 197 માનવ કબર, વિવિધ નગ, માટીના વાસણો, શસ્ત્રો અને અન્ય નાની મોટિ ધાતુઓના અવશેષો મળી આવ્યા છે.
3 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા પુરાવા
This Article Includes
લાખાપર-ઘડુલી રોડ નજીકના ખેતરમાંથી મળી આવેલા આ પુરાતત્વીય અવશેષો લગભગ 3 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે. આ જમીન હાલ અલાનાભાઈના માલિકી હેઠળ છે. પૂર્વે જૂના ખટિયા ગામ ખાતે શરૂ કરાયેલા ખોદકામ દરમિયાન મળેલા આશાસ્પદ પરિણામોને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં પુનઃસર્વે અને ખોદકામ હાથ ધરાયું હતું.

અવિસ્મરણીય અવશેષો: જીવનશૈલીની ઝાંખી
અહીંથી મળેલા અવશેષોમાં માનવ કબરો ઉપરાંત ઘરોના પાયા, માટીના વાસણો, અર્ધમુલ્યવાન પથ્થરો જેવી કે કર્નેલિયન, અગેટ, એમેઝોનાઈટના મોતી, શંખની બંગડીઓ, કોપર, બ્લેડ જેવા પથ્થરનાં સાધનોનો સમાવેશ થાય છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે અહીંથી પાકિસ્તાનના રોહરી પથ્થરના અવશેષો પણ મળ્યા છે, જે હડપ્પા સંસ્કૃતિના આંતરપ્રાદેશિક વ્યવહારની સાક્ષી આપે છે.
સાંસ્કૃતિક પ્રથાઓ અને ધર્મજીવનના પુરાવા
માટેનાં વાસણો “પ્રી-પ્રભાસ સિરામિક” તરીકે ઓળખાતા છે, જે ગુજરાતના અન્ય પ્રાચીન સ્થળો જેવી કે પ્રભાસ પાટણ (સોમનાથ), દાત્રાણા અને જનાણથી પણ મળ્યા છે. ખોદકામ દરમિયાન મળેલી કબર અને વાસણો દર્શાવે છે કે તે સમયના લોકો જીવન પછીના વિશ્વમાં શ્રદ્ધા રાખતા હતા અને ધાર્મિક વિધિઓ અનુસરતા હતા.

પાલતુ પ્રાણીઓ અને સમુદ્રજીવોનો ઉપયોગ
આવશેષોમાંથી મળેલા ગાય, ઘેટા-બકરાં અને શંખના અવશેષો દર્શાવે છે કે લોકો પશુપાલન સાથે સાથે સમુદ્રજીવોનો પણ ઉપયોગ કરતા હતા. વનસ્પતિ જીવન વિશે વધુ માહિતી મેળવવા માટીના નમૂનાઓ વૈજ્ઞાનિક પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
વિશ્વસ્તર પર સંશોધન સહકાર
આ સંશોધન માટે કેરાલા યુનિવર્સિટીને ભારત, જાપાન, યુ.એસ.એ. અને સ્પેન જેવી દેશોની સંસ્થાઓનું ટેકનિકલ સહકાર પ્રાપ્ત થયો છે. આ પ્રોજેક્ટને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને ગુજરાતના પુરાતત્વ વિભાગ તરફથી મંજૂરી આપવામાં આવી છે.