આદિપુરના વરસાદી નાળાંમાં ગટરના પાણીનો નિકાલ: રોગચાળાનો ભય અને લોકોમાં આક્રોશ

આદિપુરના વરસાદી નાળાંમાં ગટરના પાણીનો નિકાલ: રોગચાળાનો ભય અને લોકોમાં આક્રોશ આદિપુરના વરસાદી નાળાંમાં ગટરના પાણીનો નિકાલ: રોગચાળાનો ભય અને લોકોમાં આક્રોશ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુરના આદિસર તળાવથી ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી સુધીના વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા નાળાંમાં ગટરના દૂષિત પાણી છોડવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને કારણે રોગચાળાનો ખતરો વધ્યો છે અને આસપાસના રહેવાસીઓ ભયંકર દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક ફરિયાદો છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં ગટર લાઈનો નાખવા અને સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં પરિસ્થિતિ સુધરતી નથી. સરકારી અને ન્યાયિક સંસ્થાઓ દ્વારા વરસાદી પાણીના નિકાલના વહેણમાં દૂષિત પાણી છોડવું અત્યંત ગંભીર ગુનો હોવાનું મનાય છે અને આ અંગે સૂચનાઓ પણ અપાઈ છે, પરંતુ આદિપુર-ગાંધીધામમાં તેનું પાલન થતું નથી.

વરસાદી નાળાંઓમાં દૂષિત પાણીના નિકાલને કારણે ભૂતકાળમાં મેલેરિયા સહિતના રોગચાળાના કેસો નોંધાયા છે. હાલ પણ આ જ સ્થિતિ પ્રવર્તી રહી છે, તેમ છતાં મહાનગરપાલિકાના જવાબદારો દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. શહેરના મધ્યમાંથી અને સતત અવરજવરવાળા રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોમાંથી પસાર થતા આ નાળાંઓમાં દૂષિત પાણી છોડાતા લોકોને ભયંકર દુર્ગંધનો સામનો કરવો પડે છે.

જોડિયા શહેરોના અનેક વરસાદી નાળાંઓમાં આવી જ સ્થિતિ છે. ખુલ્લા નાળાંઓમાં ગટરનું દૂષિત પાણી વહેવું એ અત્યંત ગંભીર બાબત છે અને આ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં સમસ્યાનું સમાધાન ન થવું એ વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. વરસાદી નાળાંઓમાં દૂષિત પાણીના નિકાલ ઉપરાંત આંતરિક વિસ્તારોમાં પણ ગટરની ગંભીર સમસ્યાઓ પ્રવર્તી રહી છે. જે હેતુ માટે નાણાં ખર્ચવામાં આવે છે તે સાર્થક ન થતા વહીવટી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. લોકોના સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *