ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ તાલુકાના મીઠી રોડ ગામનું લીમડી ફળિયું હાલ ગટરના ઉભરાતા પાણીની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. આ સમસ્યાએ ગ્રામજનોનું જીવન દુષ્કર બનાવી દીધું છે, જ્યાં ચારેબાજુ દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં રોગચાળો ફેલાવવાની દહેશત વધી રહી છે.
ગ્રામજનો દ્વારા આ મામલે ગ્રામ પંચાયતના સરપંચને અનેકવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ શૂન્ય છે. સરપંચના બેદરકાર વલણથી ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સરપંચ ગામના વિકાસ કાર્યોમાં સદંતર નિષ્ફળ રહ્યા છે અને સમયસર પગલાં ન લેવાતા હવે રોગચાળાનો ભય માથા પર ઝળુંબી રહ્યો છે.
ગ્રામજનો હવે એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે, “જો ગામમાં રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોની રહેશે?” આ ગંભીર પરિસ્થિતિમાં વહીવટી તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ છે.