ગાંધીધામની શાળાઓમાં શિક્ષકોની અછત

ગાંધીધામની શાળાઓમાં શિક્ષકોની અછત ગાંધીધામની શાળાઓમાં શિક્ષકોની અછત

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : શિક્ષણની ગુણવત્તા સુધારવાના સરકારના પ્રયત્નો વચ્ચે ગાંધીધામ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ગંભીર ઘટ સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં ગાંધીધામ સંકુલની સાત શાળાઓમાંથી સાત મુખ્ય શિક્ષકો (એચ-ટાટ આચાર્ય)ને છૂટા કરવામાં આવતા તાલુકાની 55 સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ વધીને 80 સુધી પહોંચી ગઈ છે.

એક તરફ સરકારી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ વધારવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. નવા ઓરડાઓનું નિર્માણ થઈ રહ્યું છે અને જર્જરિત ઓરડાઓ તોડવામાં આવી રહ્યા છે. આગામી શૈક્ષણિક સત્રથી 34 નવા ઓરડા ઉપલબ્ધ થશે અને 18થી વધુ જર્જરિત ઓરડા તોડવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત 20થી વધુ નવા ઓરડાનું બાંધકામ પણ પ્રગતિ પર છે. જો કે, ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સામે ઓરડાઓની હજુ પણ કમી છે અને જમીનની અછતને કારણે નવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં મુશ્કેલી આવી રહી છે.

પરંતુ સૌથી મોટો પ્રશ્ન શિક્ષકોની ઘટનો છે. કૈલાસનગર, ખોડિયારનગર, રેલવે, આદિપુર, શિણાય, કાર્ગો અને ખારીરોહર સહિતની સાત શાળાઓમાંથી જિલ્લા ફેરબદલીમાં મુખ્ય શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે, જેને શિક્ષણ વિભાગે સમર્થન આપ્યું છે. આના પરિણામે હિન્દી માધ્યમની પાંચ શાળાઓ સહિત તાલુકાની કુલ 55 પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટનો આંકડો 80 પર પહોંચી ગયો છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલાં તંત્ર આ ઘટને નિવારે તે અત્યંત જરૂરી છે, નહીંતર બાળકોના શિક્ષણ પર તેની ગંભીર અસર પડી શકે છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *