ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આઈપીએલ 2025માં ઇતિહાસ રચી સૌપ્રથમ વખત ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ની ટીમ માટે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે સન્માન સમારોહ યોજાયો હતો. દરમિયાન ભીડના કારણે ભયંકર નાસભાગ સર્જાઈ હતી જેમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત અને 30થી વધુ ઘાયલ થયાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

સન્માન પહેલા મુખ્યમંત્રીએ ટીમનું વિધાનસભામાં કર્યુ સ્વાગત
This Article Includes
કાર્યક્રમની શરૂઆત કર્ણાટક વિધાનસભામાં કરવામાં આવી હતી, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે આરસીબીના ખેલાડીઓ અને સ્ટાફનું ઔપચારિક સ્વાગત કર્યું હતું.
ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ઉત્સાહભેર ચાહકો ઉમટ્યા
સાંજના 6 વાગ્યે શરૂ થનારા સન્માન સમારોહમાં હાજરી આપવા ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ચિન્નાસ્વામી સ્ટેડિયમના બહાર ચાહકો દ્વારા અંદર પ્રવેશ માટે પડાપડી કરવામાં આવતા નાસભાગની પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારે બૂકિંગ અને સુરક્ષા વ્યવસ્થા તૂટી પડતાં અવ્યવસ્થા જોવા મળી.
સુરક્ષા માટે 5000 પોલીસ તૈનાત છતાં વ્યવસ્થા લથડી
ભીડ નિયંત્રણ માટે 5000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત હતા છતાં નાસભાગ અટકાવી શકાઈ નહોતી. ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે જણાવ્યું કે, “હજુ સુધી મૃત્યુઆંક અને ઘાયલોના આંકડાની પુષ્ટિ થઈ નથી. હું જાતે સ્થળ પર જઈ રહ્યો છું.”
ખેલાડીઓ સામાન્ય બસમાં સ્ટેડિયમ પહોંચ્યા
ઓપન-ટોપ પરેડ રદ કરવામાં આવતા ટીમ સામાન્ય બસ દ્વારા ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચી હતી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા. સ્ટેડિયમમાં ટ્રોફી પરેડ, જીવંત સંગીત કાર્યક્રમ અને આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી.
વિધાનસભાની બહાર પણ RCB ચાહકોની ભારે ભીડ
વિધાનસભા નજીક પણ ચાહકો ઉમટી પડતાં સુરક્ષા તંત્ર માટે મુશ્કેલી સર્જાઈ હતી. પોલીસ અને સુરક્ષા દળે ભીડ સંભાળવા માટે કડક વ્યવસ્થા ગોઠવી હતી.