ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર તાલુકાના વરસામેડી સ્થિત કંડલા એરપોર્ટના સત્તાવાર ઈ-મેઈલ એડ્રેસ પર ગત તા. 28/9ના રોજ ફરી એકવાર બોમ્બથી એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, પોલીસની સઘન તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં આ ધમકી પણ ટીખળખોરનો હોક્સ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એરપોર્ટના ઈ-મેઈલ પર એક ધમકીભર્યો સંદેશો આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે, “શાળાઓ અને એરપોર્ટના વહીવટ માટે જે આતંકવાદી 111 તરીકે ઓળખવામાં આવે છે. તમારી ઇમારતોની આસપાસ બોમ્બ મૂકવામાં આવ્યા છે. તમારી પાસે 24 કલાકનો સમય છે.”
આ ગંભીર ધમકી મળતાં એરપોર્ટ વહીવટી વિભાગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસની બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS)ની ટીમ તુરંત એરપોર્ટ પર દોડી આવી હતી.
ટીમે બે દિવસ સુધી વહીવટી ઇમારત અને આસપાસના સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી. સ્નીફર ડોગની મદદથી પણ ઝીણવટભરી છાનબિન કરવામાં આવી હતી, પરંતુ તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ મળી આવ્યો નહોતો.
તપાસના અંતે કોઈ શંકાસ્પદ ન મળતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. દરમ્યાન, કંડલા એરપોર્ટના ડાયરેક્ટર ટી. ભીકુએ આ બનાવ અંગે અંજાર પોલીસ મથકે જાણવાજોગ દાખલ કરાવી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં દેશભરમાં શાળા, કોર્ટ અને એરપોર્ટને ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળવાના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાંથી મોટા ભાગના ખોટા (Hoax) સાબિત થયા છે. આ ઈ-મેઈલ પણ તે જ શ્રેણીનો હોવાનું તંત્ર અનુમાન લગાવી રહ્યું છે, જોકે સુરક્ષા એજન્સીઓ આ પ્રકારના સંદેશાઓને ગંભીરતાથી લઈ આગળની કાર્યવાહી કરી રહી છે.