અંજાર-ભચાઉ પંથકમાં અકસ્માત અને આપઘાતમાં ત્રણના મોત

અંજાર-ભચાઉ પંથકમાં અકસ્માત અને આપઘાતમાં ત્રણના મોત અંજાર-ભચાઉ પંથકમાં અકસ્માત અને આપઘાતમાં ત્રણના મોત

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છના અંજાર અને ભચાઉ વિસ્તારમાં ત્રણ જુદી-જુદી દુર્ઘટનામાં એક કામદાર, એક કિશોરી અને એક યુવતીના મોતના બનાવોએ હાહાકાર મચાવ્યો છે. આ ત્રણે ઘટનાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

અંજાર જીઆઇડીસીમાં મશીનના ધડાકામાં કામદારે ગુમાવ્યો જીવ

અંજાર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રીલે એગ્રો એન્ડ વુડ પાર્ટીકલ કંપનીમાં કામ કરનાર 44 વર્ષીય ગુલામ સબીક અંસારી રવિવારે સવારે 10 વાગ્યે મશીનરી પર કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક મશીનનું ઢાંકણું ઉડીને સીધું તેના માથામાં લાગ્યું હતું. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તેને તાત્કાલિક આદિપુરની ડિવાઇન લાઈફ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. તબીબ દ્વારા અંજાર પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા અકસ્માત મોત નોંધવામાં આવ્યું છે.

મેઘપર બોરીચીમાં વીજ થાંભલાને અડતાં 13 વર્ષની શિતલકુમારીએ ગુમાવ્યો જીવ

અંજારના મેઘપર બોરીચીના લખુબાપાનગર વિસ્તારમાં રહેતી 13 વર્ષની શિતલકુમારી યાદવ રવિવાર રાત્રે ઘરના પાસે પાણી ભરી રહી હતી. દરમિયાન અનહેતુક રીતે વીજ થાંભલાને અડી જતાં તેને કરંટ લાગ્યો હતો. પરિવારજનો તેને તરત જ રામબાગ હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી. ઘટનાની જાણ થતા અંજાર પોલીસે તપાસ શરૂ કરી છે.

સામખિયાળી ની યુવતીએ ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન દમ તોડ્યો

સામખિયાળી પોલીસે આપેલી માહિતી અનુસાર, મૂળ પાટણના મગાપુર ગામની અને હાલ રામપરના કાનજી રાયધણ મણકાની વાડી વિસ્તારમાં રહેતી 18 વર્ષીય શિતલબેન હરેશભાઈ ઠાકોરે તા. 27 મેના રોજ અજાણ્યા કારણસર ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં સારવાર માટે મહેસાણા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીએ દમ તોડી દીધો હતો. આ અંગે તબીબે તેના પરિવારજનોના આધારે પોલીસને જાણ કરી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *