ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર-સતાપર રોડ પર ગઈકાલે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ક્રેેટા કાર ચાલકે બે બાઈકસવારોને હડફેટે લેતા ઘટનાસ્થળે જ બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, આદિપુર આર્ટ્સ કોલેજના એક 20 વર્ષીય વિદ્યાર્થીના નામે ઇસ્યુ થયેલું આઈકાર્ડ કારમાંથી મળી આવ્યું છે, જેના આધારે પોલીસે અકસ્માત સર્જનાર યુવક કોલેજીયન હોવાનું અનુમાન લગાવ્યું છે.

ઘટનાની જાણ થતા જ અંજાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિ ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે કારમાંથી મળેલા આઈકાર્ડના આધારે ફરાર થયેલા કાર ચાલકને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અકસ્માત કઈ રીતે સર્જાયો અને કાર ચાલક કોણ હતો તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.