ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ તાલુકાના લક્ષ્યનગર વિસ્તારમાં ધર્માંતરણ માટે દબાણ અને ધમકીઓની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે એક મહિલાએ પોતાના પાડોશીઓ વિરુદ્ધ પોલીસ અધિક્ષક (SP) કચેરી ખાતે લેખિત અરજી આપી છે, જેમાં તેમને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ પણ ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
અરજદાર મહિલાનો આક્ષેપ: ધર્મ પરિવર્તનનું દબાણ અને માનસિક ત્રાસ
This Article Includes
સોનાલી સુજીતકુમાર ઘોષ, જેઓ લક્ષ્યનગર-૪, કિડાણા ખાતે રહે છે અને ઘરકામ કરી તેમના બે બાળકો સાથે ગુજરાન ચલાવે છે, તેમણે પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું છે કે તેમના પતિ આર્મીમાં ફરજ બજાવે છે અને હાલ ઉત્તર પ્રદેશમાં પોસ્ટિંગ પર છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ આ સરનામે રહે છે.
અરજી મુજબ, તેમના પાડોશીઓ રત્નાબેન રવિકુમાર સબિતી અને સેમસંગ રવિકુમાર સબિતી દ્વારા તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં સારા સંબંધો બાદ, રત્નાબેને સોનાલીબેનને ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી “ઘણો બધો ફાયદો થશે, બધી સગવડો મળશે અને સુખી રહેશો” તેમ કહી લાલચ આપી હતી. જોકે, સોનાલીબેને ધર્મ પરિવર્તનનો ઇનકાર કરતા આરોપીઓએ તેમને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું.
આરોપીઓ દ્વારા સોનાલીબેનના ઘર સામે કચરો અને માંસ-માછલીનો કચરો નાખવામાં આવતો હોવાના પણ આક્ષેપ છે. આ અંગે પૂછતા સેમસંગ સબિતી દ્વારા અપશબ્દો બોલી, “તુ મને રોડ પર મળીશ તો તારા પર ગાડી ચડાવી દઈશ અને તને પતાવી નાખીશ” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓએ સી.સી.ટી.વી. કેમેરા તેમના ઘર સામે લગાવી, AI (આર્ટીફીસીયલ ઈન્ટેલિજન્સ) દ્વારા વીડિયો એડિટ કરીને ખરાબ વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હોવાનું અરજીમાં જણાવાયું છે. આરોપીઓએ “તમો મારું કાંઈ નહીં ઉખાડી શકો, તમારાથી કાંઈ નહીં થાય અને સામે હું તમને ખોટા કેસોમાં ફસાવી દઈશ અને તમને છુટવા પણ નહીં દઉં” તેવી ધમકી પણ આપી છે. અગાઉ પણ આરોપીઓ દ્વારા સોનાલીબેન વિરુદ્ધ ખોટી અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
અનઅધિકૃત ચર્ચ અને ધ્વનિ પ્રદૂષણનો મુદ્દો
સોનાલીબેને પોતાની અરજીમાં અન્ય એક ગંભીર મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે તેમની સોસાયટીના ખેતરને નામદાર કલેક્ટર સાહેબ દ્વારા રહેણાંકના હેતુ માટે બિનખેતીમાં ફેરવવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેમાં શરતો મુજબ કોઈએ રહેણાંક/કોમર્શિયલ હેતુ સિવાય અન્ય કોઈ હેતુ માટે જમીનનો ઉપયોગ કરવો નહીં. તેમ છતાં, સોસાયટીના ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા કલેક્ટરના હુકમનું ઉલ્લંઘન કરીને પ્લોટ નં. ૧૫૪-૧૫૫ માં ચર્ચ બનાવવામાં આવ્યું છે.
આ ચર્ચમાં શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે સવારથી રાતના બાર વાગ્યા સુધી મોટેથી ચીસો પાડીને તીવ્ર ઘોંઘાટ ઉત્પન્ન કરવામાં આવે છે, જેનાથી આસપાસના રહેવાસીઓને હેરાનગતી થાય છે. આ ઉપરાંત, અન્ય બહારના લોકો ચર્ચમાં આવીને અરજદારના ઘરની બહાર આડેધડ ગાડીઓ પાર્ક કરીને હેરાનગતી કરે છે, જેના કારણે સોનાલીબેન અને તેમના બાળકો ભયના કારણે બહાર નીકળી શકતા નથી.
પોતાના પતિ આર્મીમાં ફરજ બજાવતા હોવાથી તેઓ એકલા રહે છે, અને આરોપીઓ દ્વારા તેમને ખૂબ જ ત્રાસ આપવામાં આવી રહ્યો છે.
વિહિપ અને બજરંગ દળની કાર્યવાહીની માંગ
આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે ગાંધીધામ SP કચેરી ખાતે રજૂઆત કરી હતી. વિહિપના આગેવાનો, જેમાં ગાંધીધામ નગર અધ્યક્ષ હરેશભાઈ રામવાણી અને મંત્રી કાનજીભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે, તેમણે આવેદનપત્ર આપીને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય કાયદા મુજબ આવા ષડયંત્રો પર કડક પગલાં લેવાની માંગ કરી.
સંગઠનોએ ચેતવણી આપી છે કે હિન્દુ સમાજ આવા પ્રયાસો સહન કરશે નહીં અને જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો વ્યાપક આંદોલન કરવામાં આવશે.
અરજદાર સોનાલી સુજીતકુમાર ઘોષે પોલીસને વિનંતી કરી છે કે આરોપીઓ રત્નાબેન રવિકુમાર સબિતી અને સેમસંગ રવિકુમાર સબિતી વિરુદ્ધ બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન કરવા, ધર્મ પરિવર્તન માટે દબાણ કરવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને અપશબ્દો બોલવા બદલ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી કરી તેમને ન્યાય અપાવવામાં આવે.