- કૂતરૂં કરડવા આવતાં બ્રેક મારતા પતિ અને બાળકો પટકાયા, પત્ની પરથી બસના ટાયર ફરી વળ્યા
- તા.2 ફેબ્રુઆરીએ સાંજે બનેલી ઘટનામાં મૃતકના પતિએ સરકારી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી
ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ અંજારથી આદિપુર તરફ જતા રસ્તા પર રાધે રિસોર્ટ સામે કુતરૂં કરડવા આવતાં બાઇક પરનો કાબુ જતાં પતિ અને બે માસૂમ બાળકો ડાબી તરફ પડતાં આબાદ બચાવ થયો હતો જ્યારે જમણી તરફ પડી ગયેલી પત્ની ઉપરથી જ એસટી બસના ટાયર ફરી વળતાં પતિની નજર સામે જ પત્નીનું મોત નિપજ્યું હોવાની તા.2/2 ના બનેલી ઘટનામાં મૃતકના પતિએ સરકારી બસના ચાલક વિરૂધ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ગાંધીધામના નવી સુંદરપુરમાં રહેતા 34 વર્ષીય અનવર દિલજાન મિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. 2 ફેબ્રુઆરીના સવારે તેઓ પત્ની સલમા અને બે દીકરીઓને લઇ બાઇક પર ભુજ ફરવા ગયા હતા. ભુજથી ગાંધીધામ પરત ફરતી વેળાએ તેઓ સાંજે સાડા છ વાગ્યાના અરસામાં ચિત્રકુટ સર્કલથી આદિપુર તરફ જતા રસ્તા પર રાધે સિસોર્ટ સામે પહોંચ્યા ત્યારે એક કુતરૂં કરડવા આવતાં તેમણે બ્રેક માર્યો તો સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં તેઓ અને એક 3 વર્ષની બીજી 1 વર્ષની દીકરીઓ ડાબી તરફ પડી ગયા હતા અને તેમના પત્ની સલમા જમણી તરફ રોડ પર પડતાં જ પસાર થઇ રહેલી એસટી બસના ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. તેમને તથા બે માસૂમ દીકરીઓને નાની મોટી ઇજા પહોંચી હતી. જીવલેણ અકસ્માત કરનાર સરકારી બસના ચાલક સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.