ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારત સરકાર દ્વારા ૨૦૨૫ના વર્ષને “અર્બન ડેવલપમેન્ટ વર્ષ” તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં, વિશ્વ પર્યાવરણ દિવસ, ૨૦૨૫ની “પ્લાસ્ટિકના પ્રદૂષણનો અંત લાવવો” (Putting an end to plastic pollution) થીમને અનુરૂપ, ગાંધીધામ મ્યુનિસિપાલિટી દ્વારા ગાંધીધામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને પર્યાવરણ સંરક્ષણ માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલ દેસાઈ અને નાયબ કમિશનર શ્રી સંજય રામાનુજના માર્ગદર્શન હેઠળ આદિપુરમાં પ્લાસ્ટિક વિરોધી અભિયાન અને વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

આદિપુર ખાતે “પ્લાસ્ટિક મુક્ત ગાંધીધામ”ના સંકલ્પ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નાગરિકોને કપડાની કોથળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં MOH ગાંધીધામ મહાનગરપાલિકાના ડો. દિનેશ સુતરિયા, કરણ ધુઆ, મારવાડી યુવા મંચના પ્રમુખ પૂજા ઠક્કર અને વિમલબેન વાઢેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મારવાડી યુવા મંચ દ્વારા આ પ્રસંગે ૧૦,૦૦૦ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણ સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ત્યારબાદ, આદિપુર રેલવે સ્ટેશનથી રાજવી ફાટક રોડ પર ૩૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં RFO શ્રી પ્રવિણ જાદવ, મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર સોનલબેન પટેલ, કિરણ રુચિરમાની, રુચિબેન, દિપેન જોડ, નિતિન જોશી, ગિરીશ પટેલ, ભાર્ગવ જાડેજા, સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. મહાનગરપાલિકા અને તાલુકા હેલ્થ ઓફિસના સ્ટાફ દ્વારા ખાડા ખોદવા સહિતના કાર્યોમાં સહયોગ આપવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલ દેસાઈએ આ પ્રસંગે નગરજનોને વૃક્ષારોપણ અને તેના જતન માટે આગળ આવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, ખરીદી કે શાકભાજી લેવા જતી વખતે કાપડની થેલીનો ઉપયોગ કરવા અને શહેરને સ્વચ્છ રાખવા માટે હૃદયપૂર્વક અપીલ કરી હતી. આ પહેલ ગાંધીધામને વધુ હરિયાળું અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.